Placeholder canvas

ગોંડલથી રાજકોટ શ્રમિકનો મૃતદેહ મુકવા જઈ રહેલા એમ્બ્યુલન્સના ચાલકને પોલીસે માર માર્યાનો આક્ષેપ

ગોંડલ: કોરોના વાઈરસને પગલે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું. જેમાં ઇમરજન્સી સેવાએ ચાલુ રાખવા સરકારનો આદેશ છે. ત્યારે ગોંડલ માનવ સેવા ટ્રષ્ટ પ્રમુખ અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા પ્રફુલભાઈ રાજ્યગુરુ સાંજના સુમારે ગુંદાળા રોડ પર રહેતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના 35 વર્ષીય યુવાનનું બીમારી સબબ મોત નિપજ્યું હોય તેના મૃતદેહને લઈ રાજકોટ મુકવા જઈ રહ્યા હતા. ત્યારે કોઠારીયા સ્કોડા શોરૂમ પાસે પોલીસના કોઈ બે અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની વાત સાંભળ્યા વગર માર મારવામાં આવતા પ્રફુલભાઈ ઇજાગ્રસ્ત થવા પામ્યા હતાં. તેમ છતાં પણ તેઓ દ્વારા માનવતાની રૂએ ઇજાગ્રસ્ત હાલતમાં પણ મૃતદેહને રાજકોટ પહોંચાતો કર્યો હતો અને જ્યાંથી તેઓ પરત ફરી ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે.

માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઇ રાજ્યગુરુ ઉપર બે પોલીસ અધિકારીઓ દ્વારા કરાયેલા હિચકારા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. હુમલાને લઇને સરકારી દવાખાના ખાતે ગોપાલભાઈ ટોડીયા, ગોરધનભાઈ પરડવા સહિત શહેરની નામી-અનામી સંસ્થાઓના આગેવાનો તેમજ સદસ્યો ઘસી આવ્યા હતા અને છેલ્લા આઠ દસ દિવસથી ચાલી રહેલ તમામ સેવાઓ સ્થગિત કરવાની ચીમકી આપી પ્રફુલભાઈ રાજ્યગુરુ ઉપર હુમલો કરનાર બંને અધિકારીઓને 24 કલાકમાં સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

આ સમાચારને શેર કરો