Placeholder canvas

રાજકોટ: સિવિલ ફૂલ: હવે ચૌધરીના ગ્રાઉન્ડમાં 200બેડ ઉભા કરાશે.

શરૂઆતમાં ઑક્સિજન સાથેના 100 જેટલા બેડ ઉભા કરાશે અને જરૂર પડ્યે તેની સંખ્યા 200 કરવા નિર્ણય: દર્દીની હાલત વધુ ખરાબ જણાશે તો જ સિવિલ અથવા સમરસમાં દાખલ કરાશે

રાજકોટમાં દરરોજ કોરોનાના કેસ અને તેના કારણે થતાં મૃત્યુમાં વધારો થઈ રહ્યો છે જેથી શહેરની લગભગ દરેક હોસ્પિટલો બહાર દર્દીઓ અને તેના પરિવારજનો કતારમાં ઉભેલા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં અત્યારે જેટલા દર્દીઓ દાખલ છે એટલા જ દર્દીઓ દાખલ થવા માટે લાઈનમાં ઉભેલા હોવાથી અત્યંત બિહામણા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. અનેક પ્રયત્નો છતાં સિવિલમાં બેડની અછત દૂર થવાનું નામ લઈ રહી ન હોવાથી હવે હોસ્પિટલની પાછળ આવેલા ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ઑક્સિજન સાથેના બેડ મુકવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ સિવિલમાં અત્યારે એક પણ બેડ ઉપલબ્ધ ન હોવાને કારણે એમ્બ્યુલન્સની લાઈન વધતી જઈ રહી છે જેના કારણે પરિસ્થિતિ બદતર થઈ રહી છે અને કોઈ પણ ભોગે લાઈનમાં ઉભેલા દર્દીઓને દાખલ કરી શકાય તેવી શક્યતા ન હોવાથી હવે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જ બેડ ઉભા કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પ્રારંભિક તબક્કે 100 જેટલા ઑક્સિજન બેડ ઉભા કરવામાં આવશે અને ત્યાં સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને સારવાર અપાશે. જો દર્દીની સ્થિતિ વધુ ગંભીર જણાશે તો તેને સિવિલ અથવા સમરસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આ માટે જરૂરી મંડપ સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સંભવત: એકાદ-બે દિવસમાં તે કામ પૂર્ણ થઈ ગયા બાદ સારવાર આપવાનું શરૂ કરી દેવામાં આવશે. આમ હવે સિવિલની સાથે સાથે ચૌધરી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ પણ હોસ્પિટલમાં ફેરવાઈ જશે.

દર્દીના સ્વજનો માટે હાઈસ્કૂલના રૂમ ખોલાશે: ભોજન સહિતની વ્યવસ્થા પણ કરાશે

સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે દરરોજ દર્દીઓ સાથે તેના સ્વજનો પણ આવી રહ્યા છે પરંતુ કલાકો સુધી વારો ન આવતો હોવાને કારણે તેમણે લાઈનમાં જ ઉભું રહેવું પડી રહ્યું છે. અનેક દર્દીઓના સ્વજનો રાત્રે ત્યાં જ સૂઈ જતાં હોવાનું ધ્યાન પર આવતાં હવે સ્વજનો માટે ચૌધરી હાઈસ્કૂલના રૂમ ખોલવામાં આવશે સાથે સાથે ભોજન, પાણી સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો