Placeholder canvas

રાજકોટ : કાર અને ST બસ વચ્ચે અકસ્માતમાં 3 વિદ્યાર્થીના મોત, 2 ઈજાગ્રસ્ત

મૃતકો ત્રણેય પારુલ યુનિવર્સિટી સંચાલિત હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ હતા મેટોડા જીઆઆઈડીસી પાસે ઘટી કરૂણાંતિકા

રાજકોટ :  મેટોડા જીઆઇડીસી પાસે એસટી બસને હોન્ડા કંપનીની કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે લોધિકા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતમાં પારુલ યુનિવર્સિટી સંચાલિત કોલેજના ત્રણ જેટલા વિદ્યાર્થીઓના અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત  નિપજ્યા છે. જ્યારે કે બે જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવેલા મેટોડા જીઆઇડીસી નજીક બપોરના 1 વાગ્યા આસપાસ એસટી બસ અને હોન્ડા કંપનીની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે કાર ની સ્પીડ એટલી વધુ હતી કે તે એસટી બસના આગળના ભાગમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવર સીટ પર રહેલા યુવાનનું પણ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

અકસ્માતની ઘટના સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી. સમગ્ર મામલાની જાણ 108 ઈમરજન્સી સેવાને તેમજ લોધીકા પોલીસને થતા પોલીસ તેમજ 108 નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કાર બસના આગળના ભાગમાં ઘૂસી ગઈ હોવાના કારણે જેસીબીની મદદ પણ લેવાની  ફરજ પડી હતી.

ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી. તો સાથે જ વિદ્યાર્થીઓના પરિવારજનોને પણ સમગ્ર બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકો ત્રણેય પારુલ યુનિવર્સિટી સંચાલિત હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ હતા જેમના નામ નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી અને ફોરમ હોવાનું સામે આવ્યું છે.

વિદ્યાર્થીઓ ખીરસરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જેથી કરીને સ્પષ્ટપણે જાણી શકાય કે આખરે કોની બેદરકારીથી આ પ્રકારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ સમાચારને શેર કરો