Placeholder canvas

રાજકોટ,મોરબી,વાંકાનેર, દ્વારકા, ખંભાળિયાના દર્દીઓ જામનગરમાં સારવાર માટે પહોંચે છે.

સૌરાષ્ટ્રની સરકારી હોસ્પિટલ કોરોનાના દર્દી થી ઉભરાઈ ગઈ છે, જ્યારે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં હજુ પણ વધારાની 400 જેટલી બેડની વ્યવસ્થા ઉપલબ્ધ હોવાથી સૌરાષ્ટ્રભરના દર્દીઓનો જામનગર તરફ ધસારો જોવા મળી રહ્યો છે, અને સૌરાષ્ટ્રના અનેક સ્થળોએથી કોરોનાના દર્દીને લઈને ઍમ્બ્યુલંસ જામનગરમાં આંટાફેરા કરી રહી છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં 720 બેડની બિલ્ડિંગમાં હાલમાં 500 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે 220 દર્દીઓની જગ્યા હજુ ખાલી છે. તે ઉપરાંત અન્ય 400 જેટલા બેડ કાર્યરત કરી શકાય તે માટેની જુના બિલ્ડિંગમાં પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આવા સંજોગોમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે સૌરાષ્ટ્રભરના દર્દીઓનો જામનગર તરફ ધસારો થઈ રહ્યો છે.

રાજકોટની કોવિડ હોસ્પિટલ હાલમાં ફૂલ થઇ ગઇ હોવાથી સરકારી સારવાર મેળવવા માટે છેક મોરબી, ગોંડલ, જેતપુર, વાંકાનેર સહિતના દર્દીઓ ઉપરાંત પોરબંદર જિલ્લા માંથી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના માંથી દર્દીઓ સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલ તરફ આવી રહ્યા છે. હાલ સરકારી જી.જી.હોસ્પિટલમાં દર દસ મિનિટે એક એમ્બ્યુલન્સ બિલ્ડીંગ તરફ આંટાફેરા કરી રહી છે. જેથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

અન્ય જિલ્લાઓમાંથી દર્દીઓનો સારવાર માટે નો પ્રવાહ આવતો હોવાથી જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ બન્યું છે, અને વધુ ને વધુ દર્દીઓની સારવાર ઉપલબ્ધ કરાવી શકાય તે માટેના પ્રયત્નો થઇ રહ્યા છે.

આ સમાચારને શેર કરો