Placeholder canvas

મોરબી: પાણીપુરીની લારીએ મારામારીમાં ઘાયલ થયેલા પ્રૌઢનું મોત: બનાવ હત્યામાં પલટાયો

મોરબીના પીપળી રોડ બેલા ગામની સીમમાં પાણીપુરીની લારીએ નાસ્તો કરવા ગયેલા ૪૫ વર્ષિય પ્રૌઢ પર મુસ્લિમ શખસે કરેલા હુમલામાં ઘવાયેલા ભીલ પ્રૌઢનું રાજકોટ હોસ્પિટલમાં મોત થતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

મૂળ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામના રહેવાસી અને હાલ પીપળી રોડ પરની સ્પેનો સિરામિકમાં રહીને મજૂરી કામ કરતા શંકરભાઈ ઉર્ફે દિનેશભાઈ ખુમાભાઇ ખાંટે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના કુટુંબી ભાભી કાજલબેન સાથે પીપળી રોડ પર સેલ્જા સિરામિક પાસે પાણીપુરીની લારીએ નાસ્તો કરવા ગયેલ ત્યારે ભાભી કાજલે તેને કહેલ કે સસરા રમણભાઈ આપણી પાછળ આવે છે જે વાત કરતા હોય ત્યારે નજીકમાં મુરઘી વેચવાનો ધંધો કરતાં આરીફ આલમ શા સૈયદ રહે મોરબીવાળો પાણીપુરી ખાવા આવેલ હોય જેને એવું લાગેલ કે ભાભી કાજલબેને એ ઈસમને કહ્યું હોય કે તે અમારી પાછળ આવે છે.

જેથી આરોપી આરીફ આલમશા સૈયદ ફરિયાદી શંકર ખાંટને કાઠલો પકડીને બે-ત્રણ ફડાકા મારી લીધા હતા અને આ છોકરી ખોટું બોલે છે તું તારા ઘરેથી કોઈ મોટા માણસને અત્યારે જ બોલાવ તેમ કહેતા કાજલના સસરા રમણભાઈ મથુરભાઈ ખાંટ (ઉ.વ.૪૫)ને બોલાવતા તે આવી જતાં આરીફ અને રમણભાઈ વચ્ચે ઝઘડો થયો હતો અને આરીફે રમણભાઈને બેફામ માર માર્યો હતો. ગંભીર ઈજા થવાથી રમણભાઈને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં રમણભાઈનું મોત થતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ રમણભાઈ ઉપર હુમલો કરનાર શખસને પોલીસે ઝડપી લીધો છે.

આ સમાચારને શેર કરો