Placeholder canvas

દાહોદ: મહુડી ગામમાં એક જ પરિવારના ૬ વ્યક્તિઓની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી.

મરનારાઓમા ૪ માસુમ બાળકો અને ૧ દંપતીનો સમાવેશ.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં મોટો હત્યાકાંડ સર્જાયો છે. દાહોદના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામમાં એક જ પરિવારના છ લોકોની નિર્દયતાપૂર્વક ગળું કાપી હત્યા થતા સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર જાગી છે. હત્યાકાંડમાં મરનારાઓમા ચાર માસુમ બાળકો અને એક દંપતીનો સમાવેશ થાય છે.

આ તમામ લોકોના ગળા કાપીને તેમની હત્યા કરવામાં આવી છે. જ્યારે હત્યારાએ ઠંડા કલેજે માસુમ બાળકોને રહેંસી નાખતા ચારે તરફ ફિટકારની લાગણી ફેલાઇ છે. આ ઘટનાની જાણ થતા મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ એક જ પરિવારના ૬ લોકોની કરપીણ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે અને હત્યારા કોણ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના છ લોકોની સામૂહિક કરપીણ હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મરનારાઓમા ભરત કડકીયાભાઈ પલાસ (ઉંમર ૪૦ વર્ષ) અને સમીબેન ભરતભાઈ પલાસ (ઉંમર ૪૦ વર્ષ) તથા તેમના સંતોના નામે પુત્રી દિપીકા પલાસ (૧૨ વર્ષ), હેમરાજ પલાસ (૧૦ વર્ષ), દિપેશ પલાસ (૮ વર્ષ), રવિ પલાસ (૬ વર્ષ) ની નિર્દયી રીતે હત્યા કરાઈ છે.

આ સમાચારને શેર કરો