Placeholder canvas

ગોંડલના નાયબ મામલતદારને લાંચના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

14 વર્ષ પહેલા દાખલા માટે એક હજારની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા

ગોંડલના નાયબ મામલતદારને લાંચના ગુનામાં અદાલતે ત્રણ વર્ષની સજા ફટકારી છે. રાજકોટના ધારાશાસ્ત્રી પાસેથી 14 વર્ષ પહેલા મામલતદાર કચેરી કોટડાસાંગાણી ખાતે તે સમયે રેવન્યુ શાખામાં ફરજ બજાવતાં સર્કલ ઓફિસરે ખાતેદાર ખેડૂતનો દાખલો આપવા માટે અભિપ્રાય માટે રૂપિયા એક હજારની લાંચ માંગી હતી અને એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. જે અંગેના કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે ત્રણ વર્ષની સજા આપવતો ચુકાદો આપ્યો છે.

આ ભ્રષ્ટ અધિકારી નાથાભાઈ માલાભાઈ પરમાર હાલ ગોંડલ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. તેઓ 14 વર્ષ પહેલા કોટડાસાંગાણી મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસરની ફરજ દરમિયાન રાજકોટના ધારાશાસ્ત્રી શામજીભાઈ જાગાભાઈ શેખડા પાસેથી ખાતેદાર ખેડૂતનો દાખલો આપવા માટે અને અભિપ્રાય માટે રૂપિયા એક હજારની લાંચ માંગી હતી અને એસીબી એ રંગેહાથ ઝડપી લીધેલ હતા.

આ અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટમાં ન્યાયમૂર્તિ શ્રી એમ.પી. પુરોહિત સમક્ષ ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયાની ધારદાર દલીલો, છ સાહેદોની તપાસ, પંચની જુબાની ને ધ્યાનમાં રાખી લાંચરૂશ્વત ધારા 1988 ની કલમ 7 તથા 13(1) ઘ તથા 13 (2) મુજબના ગુનામાં નાયબ મામલતદાર નાથાભાઈ માલાભાઈ પરમારને તકસીરવાન ઠરાવી 3 વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.

આ સમાચારને શેર કરો