Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં કોરોનાના કારણે વિદ્યાર્થીઓને અપાશે જનરલ ઓપ્શન

કુલપતિ-ઉપકુલપતિની ઉપસ્થિતિમાં તમામ વિદ્યાશાખાના ડીનની મળેલી બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય : તા. 1 ડિસેમ્બરથી પરીક્ષા લેવા તૈયારી : સાયન્સ ફેકલ્ટીની કસોટીની તારીખમાં થશે ફેરફાર

રાજકોટ: કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને વૈશ્વિક મહામારી કોરોનાના કહેરના પગલે ઓન લાઇન ઘેર બેઠાં શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. વિધાર્થીઓ ક્લાસ રૂમોમાં અભ્યાસ કરી શક્યાં નથી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આગામી તારીખ 1 ડિસેમ્બરથી શરૂ થતી પરિક્ષામાં વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શન આપવાનો મહત્વ પુર્ણ નિર્ણય આજે લેવામાં આવેલ છે.

યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખાઓના ડીનની મળેલી બેઠકમાં વિદ્યાર્થી હિતલક્ષી આ નિર્ણય લેવામાં આવેલ હતો. જેમાં યુનિવર્સિટીના તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજાનાર પદવીદાન સમારોહ તેમજ નેક દ્વારા યુનિવર્સિટીના ગ્રેડેશન માટે થનારા મૂલ્યાંકન માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

યુનિવર્સિટીના કુલપતિ ડો. પેથાણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા આગામી ડિસેમ્બરથી વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થનાર છે, જેના પ્રશ્ન પત્રો પણ નીકળી ગયા છે. તેમ છતાં કોરોના કાળમાં વિદ્યાર્થીઓને સહાયરૂપ બનવા માટે માત્ર આ વર્ષ પૂરતું વિદ્યાર્થીઓને પરીક્ષામાં જનરલ ઓપ્શન આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. એટલે કે પેપરમાં દસ પ્રશ્નો આપ્યા હોય તો તેમાંથી માત્ર પાંચ જ પ્રશ્ન વિદ્યાર્થીઓને લખવાના રહેશે.

ડો. પેથાણીએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા તારીખ 1 ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષામાં ટાઈમ ટેબલ પણ નિયત કરી દેવાયું છે, પરંતુ આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શન આપવાના નિર્ણય લેવાતા સાયન્સ ફેકલ્ટીના પેપરો ફરીથી ઓપ્શનના વિકલ્પ સાથે કાઢવાના થતાં હોય, સાયન્સ ફેકલ્ટીની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર થશે, જે હવે જાહેર કરાશે.

અહીં ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પરીક્ષામાં જનરલ ઓપ્શન આપવાના આ નિર્ણય લેવાતા અંદાજે અઢી લાખ વિદ્યાર્થીઓ માટે તે ફાયદારૂપ બનશે.

આ સમાચારને શેર કરો