સૌરાષ્ટ્રની પ્રથમ લેન્ડગ્રેબીંગ એકટ હેઠળની ફરીયાદ હાઇકોર્ટે રદ કરી
સૌરાષ્ટ્રમાં પ્રથમ નોંધાયેલી એન્ટી લેન્ડગ્રેબીંગ એકટ હેઠળની ફરીયાદ હાઇકોર્ટે રદ કરી છે. અગાઉ રાજકોટના વાવડીની ખેડવાણ જમીન મામલે કલેકટરે ગુન્હો નોંધવા હુકમ કરેલો હતો. જે કેસમાં કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજા સહિત 7 લોકોની ધરપકડ થઈ હતી. આરોપી તરફેના વકીલોએ લેન્ડગ્રેબીંગના કાયદાનો દુરૂપયોગ કરાયા હોવાની દલીલ અને અન્ય મુદ્દાસરની રજુઆતો કરેલી જેને ધ્યાને લઇ હાઇકોર્ટે આ ફરીયાદ રદ કરી છે.
આ કેસની વિસ્તૃત વિગત મુજબ રાજકોટમાં રહેતા રેણુબેન યોગેન્દ્રભાઈ મહેતાએ તેઓની વાવડીમાં આવેલ રે.સ.નં. 383 ની ખેડવાણ જમીન જેનું ક્ષેત્રફળ એ. હે. 31 ગુંઠા હતું તે જમીન તેઓના માતા મીનાબેન મહાસુખભાઈ પારેખને વેચાણથી મુળ ખાતેદાર જાડેજા નટુભા ના2ણસિંહ વિગેરે પાસેથી ખરીદ કરી હતી. આ ખેડવાણ જમીનમાં 21 ગુંઠા જમીન સને -2018 માં ડિસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડની ગાણિતીક ભૂલના કારણે મુળ ખાતેદારના ખાતામાં ચડેલ નહતી. જે લેન્ડ રેકર્ડના અધિકારીએ મામલતદારને રેકર્ડમાં સુધારો કરવા રજુઆત કરી હતી જેથી વધતી નવી 21 ગુંઠા જગ્યા મામલતદારએ સ્વ.મીનાબેન મહાસુખભાઈ પારેખના રેવન્યુ રેકર્ડએ ઉમેરો કરતી નોંધ કરી હતી. જે અંગે મુળ ખાતેદાર મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા વિગેરેએ રેવન્યુ તકરાર ઉપસ્થિત કરી હતી અને વધતી 21 ગુંઠા જગ્યા ઉપર કબ્જો કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ બાદ રેણુબેન યોગેન્દ્રભાઈ મહેતાએ રાજકોટની પ્રથમ એન્ટી લેન્ડગ્રેબીંગ ફરિયાદ નોંધવા કલેકટરને અરજી કરી હતી. કલેકટરની કમિટીએ ફરિયાદ નોંધવા હુકમ આપતા 3જી જાન્યુઆરી 2021ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં રેણુબેને ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી તરીકે રાજકોટના પૂર્વ કોંગી મહિલા કોર્પોરેટરના પતિ કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, તેમના સસરા મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા અને મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા સહિત 7 સામે ગુનો નોંધાયો હતો. ફરીયાદના અનુસંધાને એ.સી.પી. ગેડમએ તપાસ હાથ ધરી બે આરોપીઓની ધરપકડ કરી હતી અને તપાસના અંતે આ ગુન્હામાં ચાર્જશીટ દાખલ કરી હતી.
જેમાં મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, હકુમતસિંહ દીલીપસિંહ જાડેજા તથા રાજગોપાલસિંહ અનીરૂદ્ધસિંહ જાડેજા અને શકિતસિંહ હરદેવસિંહ જાડેજાને ભાગેડુ આરોપી તરીકે દર્શાવેલ હતા. આ ગુન્હામાં મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા તથા કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા વિગેરેએ ગુજરાત હાઈકોર્ટમાં લેન્ડગ્રેબીંગ એકટ હેઠળની આ ફરીયાદને પડકારી હતી અને જેમાં લેન્ડગ્રેબીંગના કાયદા હેઠળનો દુર ઉપયોગ થયેલ છે તેવી રજુઆતો કરી હતી.
આ ફરીયાદ અનુસંધાને દાવાઓ થયા છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રીઓ તકરારી થઈ છે તેવી રજુઆતો કરવામાં આવી હતી જે અંગે હાઈકોર્ટમાં આ કવોસીંગ પીટીશન ચાલી હતી. જેમાં ફરીયાદીએ તેમના વકીલ મારફત હાજર રહી સંમતિ આપી હતી. ઉપરોકત સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટે એન્ટી લેન્ડગ્રેબીગ હેઠળની આ ફરીયાદ રદ કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ વિરાટ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, યુવરાજસિંહ જાડેજા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, મિલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ ચૌહાણ, જયપાલસિંહ સોલંકી રોકાયા હતા.