Placeholder canvas

આગામી 7 થી 12મે દરમ્યાન APL-1 કાર્ડધારકોને મફત રાશન મળશે. -CMની જાહેરાત

મા અમૃતમ-વાત્સલ્ય કાર્ડધારકોને જરૂરત પડયે કોરોના ટેસ્ટનું મફત ટેસ્ટીંગ : મુખ્યમંત્રીનો નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતીમાં ગુજરાત રાજ્યના 60માં સ્થાપના દિવસ તા. 1 લી મે ની ભેટ રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોને આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ ગુજરાત સ્થાપના દિવસ અવસરે રાજ્યના સૌ નાગરિકોને પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ સામે એક બની સતર્કતા-જાગૃતિ દાખવી જંગ લડવાની પ્રેરણા આપતા પ્રજાજોગ સંદેશમાં આ મહત્વપૂર્ણ ભેટની જાહેરાત કરતાં જણાવ્યું કે, રાજ્યના 61 લાખ જેટલા મધ્યમવર્ગીય apl -1 કાર્ડધારકો એટલે કે અંદાજે 2.50 થી 3 કરોડ લોકોને આગામી તા. 7 મી મે ગુરૂવારથી તા. 12મી મે પાંચ દિવસ દરમ્યાન પરિવાર દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ગ્રામ ચોખા, 1 કિલો ગ્રામ દાળ અને 1 કિલો ગ્રામ ખાંડનું વિનામૂલ્યે વિતરણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં હાલની પરિસ્થિતીમાં કોઇ નાગરિકને ભુખ્યા સૂવું ન પડે તેવી સંવેદના સાથે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ અનાજ વિતરણનો અંદાજે રૂ. 200 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર આપશે.

મુખ્યમંત્રીએ મા-વાત્સલ્યમ અને મા-અમૃત્તમ યોજનાના કાર્ડ ધરાવતા 77 લાખ પરિવારોને પણ આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડવાની પ્રતિબદ્ધતા સાથે અન્ય એક ભેટ આવા પરિવારોને ગુજરાત સ્થાપના દિવસ અવસરે આપી છે.

વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યુ છે કે, આવા મા-વાત્સલ્ય મા-અમૃત્તમ યોજનાના લાભાર્થી પરિવારમાં કોઇ પણ વ્યકિતને તબીબી કારણો-માંદગી સર સર્જરી-ઓપરેશન કરાવવાની નોબત હાલની કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી દરમ્યાન આવે તેમજ પ્રસુતિ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો તેના ભાગ રૂપે કોરોના ટેસ્ટ કરાવવાનો થાય તો આ ટેસ્ટનો સંપૂર્ણ ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યના સૌ નાગરિકોને આહવાન કર્યુ છે કે, ગુજરાત સ્થાપના દિવસ-ગુજરાત ગૌરવ દિવસના આ પર્વે દરેક ગુજરાતી સ્વયં સ્વચ્છતાનો સંકલ્પ કરે. તેમણે કહ્યું કે, હરેક વ્યકિત એવો નિર્ધાર કરે કે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરે, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવે તેમજ વારંવાર સાબુથી હાથ ધોવે.

મુખ્યમંત્રીએ આ સંકલ્પ ‘હેઝ ટેગ વિજય સંકલ્પ’ સાથે સૌ કોઇ પોતાના વિડીયો-ફોટોઝ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર સાથે અપલોડ કરે તેવી અપિલ પણ કરી છે. વિજયભાઇ રૂપાણીએ તા. 1લી મે ગુજરાત ગૌરવ દિવસને પ્રવર્તમાન સ્થિતીમાં ગ્રામજનો, શહેરી નાગરિકો પ્રજાજનોના ખબર-અંતર પૂછવા સાથે સંવાદ દિવસ તરીકે સાદગી પૂર્ણ રીતે મનાવવાનો નિર્ધાર કર્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/C5nUv0JlDWPG3E4zTpd2xA

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો