Placeholder canvas

સરકારની જાહેરાત: રાજ્યના 60 લાખ APL-1 કાર્ડધારને મળશે મફત અનાજ

આ નિર્ણયને પરિણામે રાજ્યના 60 લાખથી વધુ મધ્યમવર્ગીય પરિવારોના 2.50 થી 3 કરોડ લોકોને મોટી રાહત થશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો પરિવારો એટલે કે 2.50 થી 3 કરોડ જેટલા મધ્યમ વર્ગીય લોકોના વિશાળ હિતમાં એક નિર્ણય કર્યો છે.

રાજ્ય મંત્રીમંડળે આજે નિર્ણય કર્યો છે કે રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારો APL-1 ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ૬૦ લાખથી વધુ APL-1 કાર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ માસમાં કુટુંબ દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે.

આ નિર્ણયને પરિણામે રાજ્યના 60 લાખથી વધુ મધ્યમવર્ગીય પરિવારોના 2.50 થી 3 કરોડ લોકોને મોટી રાહત થશે અને વર્તમાન લોકડાઉનની સ્થિતીમાં સરળતાથી અનાજ વિનામૂલ્યે મળશે, રાજ્યમાં પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીને કારણે કામકાજ વ્યવસાયો બંધ થઇ જવાથી ગરીબ, કામદાર વર્ગો, શ્રમજીવીઓ અને મધ્યમવર્ગના પરિવારોને અનાજ મેળવવામાં કોઇ મુશ્કેલી ન પડે તેમજ આ પરિસ્થિતીમાં પણ પૂરતું અનાજ મળી રહે તેવી સંવેદનાથી રાજ્યમાં NFSA અંતર્ગત આવરી લેવાયેલા અંત્યોદય અને PHH એવા 66 લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે.

ગુજરાતે દેશભરમાં પહેલ કરીને એપ્રિલ માસના પ્રથમ ચાર દિવસમાં જ આવું અનાજ કોઇ પણ જાતની અવ્યવસ્થાઓ સર્જાયા વગર સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ કરવાની સફળતા મેળવી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ ત્યાર બાદ 3.40 લાખ થી વધુ એવા ગરીબ પરિવારો-કાર્ડધારકો જેઓને અત્યાર સુધી દર મહિને માત્ર ખાંડ અને મીઠું જ મળતા હતા તેવા પરિવારોને પણ ઘઉં, ચોખા અને દાળ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે અને વિતરણ થઇ રહ્યું છે. એટલું જ નહિ, રાજ્યમાં અત્યંત ગરીબ, શ્રમજીવી, અન્ય પ્રાંત-રાજ્યના શ્રમિકો જે રેશનકાર્ડ ધરાવતા નથી તેવા આશરે પાંચ લાખ જરૂરતમંદ વ્યકિતઓને પણ અન્નબ્રહ્મ યોજના અન્વયે પ્રવર્તમાન સ્થિતીમાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

હવે, મધ્યમવર્ગના 60 લાખ APL-1 કાર્ડધારકોને પણ એપ્રિલ માસમાં આવું અનાજ વિનામૂલ્યે પ્રવર્તમાન પરિસ્થિતીમાં આપવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળે કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અનાજ વિતરણની અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને આદેશ આપ્યા છે અને વિતરણની ચોક્કસ તારીખો હવે જાહેર કરવામાં આવશે તેમ પણ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો