Placeholder canvas

રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: 3 ભાઈ બહેનોએ વર્ષો સુધી પોતાની જાતને એક રૂમમાં પૂરી રાખી…

રાજકોટમાં 3 ભાઈ બહેનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાએ રાજકોટ જ નહીં દરેક જણને વિચારતા કરી મૂક્યા છે.

રાજકોટમાં LLB, બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરેલા બે ભાઈ અને બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ, વર્ષો સુધી એક જ ઓરડીમાં રહ્યાં, બારણું તોડી બહાર કાઢ્યા

રાજકોટના કિસાનપરા ચોકમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને આ કૃત્ય કર્યુ હતું. આજે સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.

એક જ રૂમમાં રહી અઘોરી જેવું જીવન જીવતા…
પિતાએ ઘણી આજીજી કરી દરવાજો ખોલવા પણ ખોલ્યો નહીં
ત્રણેય ભાઈ-બહેનને છોડાવવા માટે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દોડી ગઈ હતી. પિતાએ ત્રણેયને દરવાજો ખોલવા માટે આજીજી કરી પણ ખોલ્યો નહી. મકાનની ડેલી સાથી સેવા ગ્રુપના એક સભ્યએ દીવાલ ટપી ખોલી હતી. જ્યારે અંદર રૂમનો દરવાજો બંધ હોવાથી પિતાએ દરવાજો ખોલવા ઘણી આજીજી કરી હતી. પરંતુ દરવાજો ન ખોલતા આખરે સાથી સેવા ગ્રુપની ટીમે દરવાજો તોડવો પડ્યો હતો. અંદર ત્રણેય ભાઈ-બહેન અઘોરી જેવુ જીવન જીવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. બંને ભાઈની દાઢી અને વાળ વધી ગયેલા જોવા મળ્યા હતા.

સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને એક ફોન આવ્યો હતો કે આવી રીતે ત્રણ ભાઈ-બહેન રહે છે. જમવાનું તેમના પિતા પહોંચાડતા હતા. દરવાજા પાસે થાળી રાખે એટલે લઈ લેતા હતા. ત્રણેય ભાઈ-બહેન આશરે 10 વર્ષથી અંદર રહેતા હતા. અમે દરવાજો તોડીને અંદર ગયા હતા. તેમના પિતાને કહ્યું છે કે અમને સોંપી દો અમે એક મહિનાની અંદર સારૂ કરી દેશું. તેમના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી છે અને 35 હજાર જેટલું પેન્શન આવે છે. ત્રણેયની ઉંમર 30થી 42 વર્ષ જેટલી છે. તેમના પિતા પરિવાર સાથે વાત કરીને નિર્ણય લેશે.

ત્રણેય ભાઈ-બહેન પાસે ઉચ્ચ ડિગ્રી
નવીનભાઈ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષો સુધી દવા અને દુવા બંને કરી છે રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક તેમજ ઘણી મોટી નામના ધરાવતી ધાર્મિક જગ્યાઓના મહંતો તેમજ આચાર્ય પાસેથી પણ સારું થઈ જાય તે માટે જોવરાવાનું કામ કરાવ્યું છે. તેમ છતાં આજ દિવસ સુધી તેમના સંતાનોનું ક્યારેય પણ સારું નથી થયું. મોટા પુત્રનું નામ અંબરીશ મહેતા છે તેણે વકીલનો અભ્યાસ કર્યો છે. તેમજ તે વકીલાત પણ કરતો હતો. બીજા નંબરની મેઘા મહેતા નામની દીકરી છે તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. જે
રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં ભણતી હતી. ત્રીજા નંબરનો દિકરો ભાવેશ મહેતા છે તેણે પણ ગ્રેજ્યુએશન કર્યુ છે. સાથોસાથ તે રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. જ્યારથી ત્રણેય સંતાનોએ પોતાની માતા ગુમાવી છે ત્યારથી ત્રણેય સંતાનો ઉપર કોઈએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તેવું લાગે છે.

શહેરના કિસાનપરા ચોકમાં શેરી ન.8ના ખુણા પર આવેલા એક જૂનવાણી મકાનમાં ત્રણેય ભાઈ-બેહન રહેતા હતા. બે ભાઈની માનસિક સ્થિતિ ખરાબ છે જ્યારે બહેનની હાલત સારી છે. આથી બંને ભાઈને તે સાચવી રહી છે. 82 વર્ષીય નવીનભાઈ મહેતાના ત્રણેય સંતાનો છે. નવીનભાઈ જ ત્રણેય સંતાનોને જમવાનું પહોંચાડતા હતા.

એક જાગૃત મહિલાએ સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલને એક જ ઘરમાં છ વર્ષથી ત્રણ ભાઈ-બહેન રહે છે તેવી જાણ કરી હતી. આથી જલ્પાબેને નવીનભાઈનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે જ પાડોશીઓને કહી દીધું હતું કે, આ લોકોને છંછેડતા નહીં. આજે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન, તેમની ટીમ અને નવીનભાઈ સાથે પહોંચ્યા હતા. નવીનભાઈએ તેની દીકરીને ડેલી ખોલવા ઘણી મથામણ કરી પણ ખોલી નહોતી. બાદમાં સાથી સેવા ગ્રુપની ટીમ દીવાલ ટપી અંદર જઈ રૂમનો દરવાજો તોડ્યો હતો.

નવીનભાઈની દીકરીએ જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે અમે સાતથી આઠ મહિના સુધી બહાર નીકળતા નહોતા. લોકડાઉન પહેલા હું શાકભાજી અને કરિયાણું લેવા બહાર નીકળતી હતી. ચિંતાને કારણે એક જ રૂમમાં પુરાય રહ્યાનું પણ બહાર આવી રહ્યું છે. નવીનભાઈનો નાનો દીકરો ક્રિકેટ રમતો હતો. જ્યારે મોટા દીકરાએ LLB બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે દીકરીએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. હાલ આ ત્રણેયને કંઈ જગ્યાએ રાખવા તે અંગે પરિવારજનો ચર્ચા કરી રહ્યાં છે. સુરતના એક આશ્રમમાં ખસેડવાની વાત પણ ચાલી રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો