Placeholder canvas

મોરબી: 47 નાયબ મામલતદાર સહીત 120 મહેસુલી કર્મચારીઓ પડતર પ્રશ્ને સામુહિક રજા ઉપર.

મોરબી : મોરબી જિલ્લાના મહેસુલી કર્મચારીઓ પડતર પ્રશ્ને આજથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. અગાઉ પાંચ દિવસ સુધી કાળી પટ્ટી બાંધી ફરજ બજાવીને વિરોધ કરવા છતાં સરકારે આ મુદ્દે નમતું ન જોખતા આખરે આજે મહેસુલી કર્મચારીઓએ સામુહિક રજાનું શસ્ત્ર ઉગામ્યુ છે. આ હડતાલમાં મોરબી જિલ્લાના 47 નાયબ મામલતદાર, 73 ક્લાર્ક મળીને કુલ 120 મહેસુલી કર્મચારીઓ જોડાયા છે.

મોરબી જિલ્લાના મહેસુલી કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો અધરતાલ છે. આ પડતર પ્રશ્ને અનેક વખત રજુઆત કરવા છતાં આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સરકાર ભારે ઉદાસીનતા દાખવી છે. આથી મોરબી જિલ્લામાં મહેસુલી કર્મચારીઓએ પોતાના પ્રશ્નોનું નિરાકરણ માટે સરકાર સામે જંગે ચઢ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી નવતર રીતે આંદોલન ચલાવી રહ્યા છે.

મોરબી જિલ્લાના મહેસુલી કર્મચારીઓએ પડતર પ્રશ્ને ગત સોમવારથી શુકવાર એમ પાંચ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને પોતાની માંગણીઓને બૂંલદ બનાવી હતી. તેમ છતાં સરકારે નમતું ન જોખતા અંતે મહેસુલી કર્મચારીઓએ આજે સામુહિક રજાનો માર્ગ અપનાવ્યો છે. જેમાં આજે મોરબી જિલ્લાનાના મહેસુલી કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરી મોરબી જિલ્લાના 47 નાયબ મામલતદાર અને 73 ક્લાર્ક સહિત કુલ 120 કર્મચારીઓએ જોડાઈને સૂત્રોચ્ચાર કરીને પોતાના પ્રશ્નો નિરાકરણ લાવવાની માંગ કરી છે. તેમ છતાં પણ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો મહામંડળની સૂચના અનુસાર જરૂર પડ્યે તા.29/08/19 થી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પાડશે તેમ જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો